કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરતાં આવકવેરાની મર્યાદામાં વધારો કર્યો નહતો પણ આવકવેરાના દરમાં જંગી ઘટાડો કરીને સામાન્ય લોકોને જંગી રાહત આપી દીધી છે. જેટલીએ 5 લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ અડધો ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
જેટલીએ આવકવેરાની મર્યાદા 2.50 લાખ રૂપિયા યથાવત રાખી છે પણ 5 લાખ સુધીની આવક પર ટેકસ ઘટાડ્યો છે. જેટલીની જાહેરાત પ્રમાણે 2.50 લાખની આવકવેરા મર્યાદા અને 3 લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણ 5000 રૂપિયા ટેક્સ રીબેટ મળશે. આમ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
જો કે જેટલીએ રીબેટના નિયમોમાં ફેરફાર કર્યો છે તેના કારણે 3 લાખથી વધુ આવક હશે તેમને ટેક્સ રીબેટ નહીં મળે. અત્યારે 10 ટકા આવકવેરાના સ્લેબમાં 5000 રૂપિયા ટેક્સ રીબેટ છે તે નાબૂદ કરી દેવાયો છે. પરિણામે 3 લાખ રૂપિયાથી 3.50 લાખ રૂપિયા સુધીની આવક હશે તેમણે 2500 રૂપિયા ટેક્સ ભરવો પડશે.
જેટલીએ આવકવેરા ધારાની કલમ 80 સી હેઠળની કરરાહતો ચાલુ રાખી છે. હાલમાં 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીનાં રોકાણો પર કોઈ ઈન્કમટેક્સ નથી લાગતો. આમ 80 સી કલમનો લાભ લેનારે 4.50 લાખ રૂપિયા સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં ભરવો પડે.
આવકવેરાની કલમ 80 સી હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ), લાઈફ ઈન્સ્યોરન્સ વગેરેમાં કરેલું રોકાણ આવકમાંથી બાદ કરાય છે. આ ઉપરાંત બે બાળકો સુધીની સ્કૂલની ફી સહિતના ખર્ચ પણ બાદ મળે છે.
જેટલીએ મધ્યમ વર્ગને રાહત આપી છે તો ધનિકો પર ટેક્સ વધાર્યો છે. જેટલીની દરખાસ્ત પ્રમાણે જેમની આવક 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધી હશે તેમના પર 10 ટકા વધારાનો સરચાર્જ લાગશે. આ ઈન્કમ સ્લેબમાં 30 ટકા ટેક્સ છે તે જોતાં તેમણે આવકના 3 ટકા વધારાનો સરચાર્જ ભરવો પડશે.
0 ટિપ્પણીઓ